ખેડામાં મુસ્લિમ યુવકોને ફટકારવાનો મામલો: ચારપોલીસકર્મીઓને 14 દિવસની જેલની સજા ફટકારાઈ
- 19 Oct, 2023
૦૪ ઓક્ટોબર ૨૦૨૨ના દિવસે ખેડા જિલ્લાના ઉંઢેલા ગામમાં મુસ્લિમ યુવકોને થાંભલા સાથે બાંધીને જાહેરમાં ફટકારવાની ઘટનામાં ચાર પોલીસકર્મીઓને ગુજરાત હાઈકોર્ટે ૧૪ દિવસની જેલની સજા ફટકારી છે. પોલીસના અત્યાચારનો ભોગ બનેલા એક મહિલા સહિતના ચાર આરોપીએ આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરી હતી. અરજદારોનો આક્ષેપ હતો કે તેમને જાહેરમાં માર મારીને પોલીસે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન્સનો ભંગ કર્યો હોવાથી તેમની સામે કોર્ટની અવમાનના કરવાના ગુના હેઠળ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે.
આ કેસમાં એક સમયે આરોપી પોલીસકર્મીઓએ પીડિતોને વળતર ચૂકવવાની તૈયારી બતાવી સમાધાનની ઓફર પણ કરી હતી. જોકે, પીડિતોએ પોતાને વળતર નહીં પણ ન્યાય જોઈએ છે તેમ કહીને આરોપીઓ દ્વારા કરાયેલી વળતર આપીને સમાધાન કરવાની ઓફરને ફગાવી દીધી હતી. ૧૯ ઓક્ટોબરના રોજ હાઈકોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન પણ આરોપીઓએ પોતાને સજા સંભળાવવાને બદલે આર્થિક દંડ કરવા માટે વિનંતી કરી હતી, જોકે કોર્ટે તમામ તથ્યો તેમજ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લેતા આરોપીઓને ૧૪ દિવસની જેલની સજા ફટકારવાનો આદેશ કર્યો હતો.
ઉંઢેલા ગામમાં ઓક્ટોબર ૨૦૨૨માં આઠમા નોરતે ગરબામાં પથ્થરમારાની એક ઘટના બની હતી. ત્યારબાદ પોલીસે મુસ્લિમ સમુદાયના કેટલાક લોકોની ધરપકડ કરી હતી, ફરિયાદ અનુસાર આ તમામ લોકોને લોકઅપમાં રાખવામાં આવ્યા હતા અને બીજા દિવસે તેમને ગામમાં લાવીને પોલીસે વીજળીના થાંભલા પાસે ઉભા રાખીને તેમને જાહેરમાં થાપા પર ડંડા ફટકાર્યા હતા. ગામના મસ્જિદ ચોકમાં પોલીસ આ લોકોને ફટકારી રહી હતી ત્યારે ત્યાં એકઠું થયેલું ચીચીયારીઓ પાડી રહ્યું હતું. પીડિતોનો એવો પણ આક્ષેપ હતો કે પોલીસે તેમને જાહેરમાં ફટકારતા પહેલા ઘરમાં પણ તેમને માર માર્યો હતો અને પછી તેમને મસ્જિદ ચોક પાસે લઈ જવાયા હતા. પોલીસે આ લોકોને માર મારીને વાનમાં બેસાડી દીધા હતા અને પછી તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.